Thursday, February 4, 2016

સૌ દલિતભાઈઓને જય ભીમ...

- કિશોર મકવાણા
 સૌ દલિતભાઈઓને જય ભીમ...
ડો. બાબાસાહેબને કદાચ સૌથી વધુ પોતાના લોકો જ નડ્યા હતા. જયારે જયારે ડો. બાબાસાહેબને સાથ આપવાની કે સાથે ઊભા રહેવાની વાત આવી ત્યારે ડો. બાબાસાહેબ પણ ઓશિયાળા પુરવાર થયા હતા. આજે તો એનાથી ય પરિસ્થિતિ વધુ બત્ત્તર અને વિકટ છે. દલિત સમાજ પેટા જ્ઞાતિ, સ્ટેટ્સ, વિચારધારા અને સંસ્થાઓમાં ચિંતા ઉપજાવે એ રીતે વિભાજીત થઇ રહ્યો છે. કેટલાક બંધુઓ  એટલી હદે જડ માનસિકતા ધરાવે છે કે પોતાના જ ભાઈની  સમાજ હિતની  અલગદ્રષ્ટિકોણથી કરેલી રજુઆતને પણ સ્વીકારી શકતા નથી.  હાલમાં આપણા યુવાનો ઉજ્જવળ કારકિર્દી લક્ષી બને એવા  પ્રયત્નો થવાના  બદલે આપણા યુવાનોને નકારાત્મક- આક્રોશ તરફ ધકેલવાના પ્રયત્નો વધુ થાય છે. આ એક ખુબ ગંભીર બાબત છે. ક્યારેક લાગે કે આજના સ્પર્ધાના યુગમાં આપણા તેજસ્વી યુવાનોનું ભાવી અંધકારની ગર્તામાં ધકેલવાની આ કોઈ પૂર્વયોજના તો નહીં હોય? અતિ નકારાત્મકતા હંમેશાં હતાશામાં પરિણમે છે, જેના પરિણામો પણ ગંભીર  જ હોય છે. રોહિત વેમુલાની આત્મહત્યા ચર્ચામાં છે ત્યારે તેને લઈને સહેજ અલગ દ્રષ્ટિકોણથી વાત મૂકી છે.  આમાં વાત દલિત વિરોધ કે દલિત તરફેણ કરવાની વાત નથી પણ સમાજમાં ચાલતા અલગ-અલગ પરિબળો જણાવવાનો પ્રયત્ન છે.  અત્યારે સૌને અંદરથી હચમચાવીને જગાડી શકે તેવો આ જ મુદ્દો છે, જેની પર હાલ સૌને વિચારતા કરવા મજબુર કરી શકાય.આ સમગ્ર વાતમાં કેવળ યુવાનોનું ભવિષ્ય, દલિત અને બાબાસહેબના હિતને જ કેન્દ્રમાં રાખ્યું છે.
 રોહિતની વાત કે વિચારધારા સાથે સહમત હોઈએ કે ના હોઈએ, પણ આ હોનહાર યુવાનથી આપણે સૌ દુઃખી જરૂર છીએ.   ભારતમાં રોહિત વેમુલા એ  પ્રથમ દલિત યુવાન નથી જેણે આત્મહત્યા કરી હોય.? પહેલા પણ ઘણાં યુવાને આત્મહત્યા કરી છે અથવા કોઈ દલિત યુવાનની હત્યા થઇ છે.  ગુજરાત અને ભારતના અન્ય પ્રાંતોમાં અનેક  દલિત અત્યાચારની ઘટના બને છે.ગુજરાતમાં વર્ષોથી દલિત પર અત્યાચાર થતા રહે છે. સાવરકુંડલા નજીકના એક ગામમાં  આપણી એક દીકરી  પર બળાત્કાર થયો.  ભયના ઓથાર નીચે જીવતા આ દીકરીના પરિવારે પોતાની પીડા વ્યક્ત કરવા અમરેલી આવી આત્મવિલોપનનો કરવાનો નિર્ણય  કર્યો.  ખેડા જિલ્લાના માતર તાલુકાના માલાવાડા ગામમાં પાણીના મુદ્દે દલિતો  પર અત્યાચાર થયો.  વણજર (તા. ભિલોડા, જિ. અરવલ્લી) ગામમાં દલિત સ્મશાનમાં તોડફોડ થઇ.  ભાવનગરના તળાજા નજીક શોભાવડ ગામે દલિત સરપંચની બે દીકરીઓ સાથે  એજ પરિવારની બીજી પણ  એક દીકરી પર ચાર નરાધમોએ બળત્કાર કરી મારી નાખવાની ધમકી આપી.  સુરેન્દ્રનગર જિલ્લાના ટીંબા ગામમાં એકમાત્ર ભણેલ। સુરેશ નામના   યુવાને ગામના અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તો  ગામ લોકો એ ભર બપોરે રહેંસી નાખ્યો. આ બધા જ ગામની પીડાત્મક ઘટનાને    અમે અમારા  'સંવેદના સામયિક' ઉજાગર  કરી છે. આજે પણ ગુજરાતના  85 ગામમાં દલિતો  પોલીસ પહેરા હેઠળ  જીવી રહ્યાં  છે. આ બધી જ ઘટનાઓ ગુજરાતમાં હાલમાં જ બનેલી  છે, આવી તો અનેક ઘટના છે. આવા અત્યાચારો વખતે ચુપ રહેવા કે  અવાજ નહી ઉઠાવવા પાછળ આ કહેવાતા દલિત હિતેચ્છુઓ માટે  કયું કારણ હોઈ શકે? 
અન્યાય કે અત્યાચારનો ભોગ બનેલી વ્યક્તિ કે પરિવાર ક્યાંય કોઈ સંસ્થા સાથે જોડાયેલી નથી હોતી તો  આવા કેસોમાં કહેવાતા દલિત હિતેચ્છુઓનું મૌન રહેવા પાછળ કયું કારણ હોઈ શકે? ઘણા દલિત અત્યાચારના કેસમાં અમુક લોકો પીડિતો પાસે એટ્રોસીટી  એક્ટ હેઠળ કેસ કરાવવા શૂરા બને છે અને પછી જયારે  પેલો પરિવાર મુશ્કેલીમાં મુકાય ત્યારે કેમ કોઈ એ પરિવારની પડખે ઉભા રહેતા નથી ? કેસ કરાવવા શૂરા પણ પછી.....??? આમાં સમાજે શું સમજવાનું?  અમુક જ  ઘટનાઓમાં  વિરોધ દર્શાવતા આ   શુરવીરો ને આ બધી દલિત અત્યાચારની ઘટનામાં કેમ શુરાતન નથી ચડતું? ઘર આંગણે બનતી ઘટનાઓમાં અકળ  મૌન કેમ?
 ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમયે બધા કહેવાતા દલિત શુરવીરો ચુપ હતા ત્યારે આજ 'દિવ્ય ભાસ્કર' ની સોશિયલ નેટવર્ક કોલમમાં અનામતની તરફેણમાં  દલિત સમાજ આજે પણ કેવી ભયાનક જાતિવાદનો ભોગ ગામડા અને શહેરમાં બને છે- એનો વાસ્તવિક ચિતાર  તથા આંકડાકીય વિગતો સાથે ઉપરાઉપરી ત્રણ  લેખ આવ્યા. ત્યારે આપણો જ એક ભાઈ બાકીના  સમાજ અને રાજકીય એમ બધી બાજુથી વિરોધ વ્હોરીને પણ એકલપંડે અવાજ ઉઠાવતો હતો ત્યારે તેને સાથ આપવા કે અભિન્દન આપવા કે સહાનુભૂતિના બે શબ્દ કહેવા કોઈ કહેવાતા દલિત હિતેચ્છુ કેમ આગળ   આવ્યા નહોતા ? અમે કેટલાક દલિત મિત્રોએ અનામતની તરફેણ અને સમર્થન માટે જાગૃતિ મીટીંગો યોજી ત્યારે  તો મોટાભાગના લોકોએ સમાજ સંગઠિત થાય એ  માટે સમજણ સુધ્ધા દાખવી નહોતી.  સમાજની આવી મુશ્કેલ ઘડીમાં દલિત હિત માટે થઈને પણ સાથે જોડાવાની સમાજ ભાવના ક્યાં ગઈ  હતી? અનામતની સાચી વાત લોકો સુધી પહોંચે તે માટે 'અનામત અંગેનું સત્ય-અસત્ય'  પુસ્તક પ્રકાશિત કર્યું ત્યારે કેટલી દલિત હિતેચ્છુ વ્યક્તિઓ અને  સંસ્થાઓએ રસ દાખવ્યો? 
સમાજમાં  સારું  કરવામાં, સમજણ દાખવવામાં કે જાગૃતિ માટે સંગઠિત થવાનું  શુરાતન કેમ નથીચડતું  ? સારું કરનારને કોઈ સહકાર નહી આપવાનો અને તેની વાતને રાજકીય રૂપમાં ખપાવી દેવું... 
કોઈક આપણો ભાઈ જરાક કૈક જુદી રજૂઆત કરવા જાય તો તે શું કહેવા માંગે છે કે તેણે આવી વાત કેમ કરી તે બાબતે પણ વિચારવાનું નહી? બધા પોતપોતાની રીતે સમાજ કાર્ય કરતા હોય છે,  કોઈ સ્વાર્થ થી તો કોઈ નિસ્વાર્થ ભાવથી પણ, સમાજમાં કામ કરનારા બીજા કોઈની  સમાજ હિતની સાચી લાગણીમાંથી પણ વિરોધ માટેના મુદ્દાઓ શોધવા કેટલા યોગ્ય ?
બસ, આપણાથી થોડુંક જુદું બોલે તો આપણા જ ભાઈને પૂરો કરવા શૂરવીરતા દાખવવી, શક્ય એટલી શંકાઓ કરવી, સારા કાર્યને શંકાથી જોઈ સ્વાર્થમાં ખપાવવું અથવા કોઈના મોહરાં તરીકે જ જોવું અને  પોતાના જ ભાઈને પાડી દેવો અને પોતે જ સાચા એ ઠસાવવા એકદમ વિરોધી વાતાવરણ ઉભું કરવું કે દરેક વાતને  રાજકીય ચશ્માથી જોવી   એ તો આપણી કેવી માનસિકતા?  કોઈનાય  જીવનકાર્યને જોયા વિના - જાણ્યા  વિના અને મૂલવ્યા વિના કોઈ પણ નાના અમથા મુદ્દે કટ્ટરતા દાખવવી એ તો આપણી કેવી કરુણ-રુગ્ણ માનસિકતા? 
 આપણી વાત સાથે સહમત ના હોય તો આપણા પોતાના જ ભાઈને ખતમ કરી નાખો એવી વિચારધારા આપણા પ્રેરણા પુરુષ ડો. બાબાસાહેબની તો નહોતી  જ...
સૌ દલિતભાઈઓને જય ભીમ...   
 - કિશોર મકવાણા
 

No comments:

Post a Comment

T-shirts of Dr. Ambedkar

T-shirts of Dr. Ambedkar

Books of Dr. Ambedkar

Books of Dr. Ambedkar

Books on Life of Dr. Ambedkar

Books on Life of Dr. Ambedkar